કટ્ટરવાદ રોકવો હોય તો સમજવો પડશે

આ દેશને અત્યારે જો કોઈ સમસ્યા સૌથી વધુ પજવી રહી છે તો એ છે કટ્ટરવાદ.

 તો કટ્ટરવાદ એટલે શું? જે વ્યક્તિ કે સમૂહ પોતાની જ માન્યતા સાચી અને અન્ય તમામ લોકો કે ઘટનાઓ ખોટી એવી જીદ પર સાતત્યપૂર્ણ રીતે હોય એને કટ્ટરવાદી કહેવાય. ધર્મમાં પણ કટ્ટરવાદ હોઈ શકે અને તર્કમાં પણ હોઈ શકે. 

તો સૌથી પહેલા તો મારે કેટલાક વાક્યો લખી નાખવા છે એટલે ચર્ચામાં સરળતા રહે.

  • આ દેશ વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવે છે અને એનો પ્રજાને ગર્વ છે. 
  • આ દેશ અનેક પ્રજાઓનું ઘર છે પણ એમાં 79% ( 97 crores ) હિંદુ પ્રજા છે એ વાસ્તવિકતા છે..
  • દરેક વ્યક્તિ જે શાસકોના નિર્ણયોનો વિરોધ કરે છે એ કોંગ્રેસી કે પાકિસ્તાની કે દેશદ્રોહી નથી.
  • દરેક વ્યક્તિ જે અત્યારના શાસકીય નિર્ણયોનું સમર્થન કરે છે એ ભાજપ કે RSS નો નથી

હવે પ્રશ્ન એ છે કે કટ્ટરવાદ કેમ જન્મ લે છે ? જ્યારે કોઈ સમૂહ કે પ્રજા સતત અન્યાયબોધ અનુભવે કે કોર્નર્ડ અનુભવે ત્યારે ડીફેન્સ મીકેનીઝમના ભાગરૂપે કટ્ટરવાદ જન્મ લેતો હોય છે. હવે આ બાબતને જરા વિશાળ પરિપ્રેક્ષ્ય્માં સમજીએ.

આ વિશ્વમાં જે બે ધર્મની પ્રજા બહુમતીમાં છે એ બંને ધર્મ અનુક્રમે ક્રિશ્ચ્યાનીટી અને ઇસ્લામ છે. વિશ્વના ૩૦% લોકો   ક્રિશ્ચ્યાનીટી ફોલો કરે છે અને ૨૪ % ઇસ્લામમાં માને છે. 

  • ૨૦૧૫ ના આંકડા મુજબ કૂલ ૧૫ દેશ એવા છે જ્યાં સ્ટેટ રીલીજ્યન તરીકે ક્રિશ્ચ્યાનીટી અપનાવાઈ છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી જે લગભગ ૨.૩ બિલીયન છે એ આ ધર્મ ફોલો કરે છે. 
  • ૨૦૧૫ ના આંક મુજબ લગભગ ૫૦ દેશો મુસ્લિમ મેજોરીટી ધરાવે છે જેમાં ૨૭ દેશોનો સ્ટેટ રીલીજીયન ઇસ્લામ છે. 

ભારતમાં હિંદુ ભલે બહુમતીમાં છે પણ વૈશ્વિક દ્રષ્ટીએ લઘુમતીમાં છે. તો વિશ્વમાં દાયકાઓ અને સદીઓથી મૂળ સંઘર્ષ ક્રિશ્ચ્યાનીટી અને ઇસ્લામ વચ્ચે રહ્યો છે. આ સંઘર્ષની બહુ ડીટેઇલમાં ગયા વિના પણ એટલું નિશ્ચિત રૂપે કહી શકાય કે ઇસ્લામ શરૂઆતી તબક્કામાં અમુક અંશે કુપ્રચારનું વિકટીમ રહ્યું છે ( જો શોષિત સ્ત્રીઓની એકઝાજરેટેડ આત્મકથાઓનો કૂલ રેકોર્ડ શોધવામાં આવે તો સૌથી વધુ મુસ્લિમ ધર્મ ફોલો કરતા દેશોની સ્ત્રીઓની હશે.) 

હવે જ્યારે કોઈ પ્રજાના રીવાજો, પ્રથાઓ , લોકો ,ધર્મ… તમામની ફક્ત ટીકા જ થાય ત્યારે શરૂઆતમાં એ તાર્કિક રહે છે પણ એક બિંદુ પછી એ તર્ક છોડીને અંતિમવાદી રૂપ ધારણ કરે છે. આ બિલકુલ એવું જ છે કે તમે કોઈ માણસને રોજ “તું ખરાબ છે” એમ કહો તો અંતે એ થાકીને એકદિવસ કહે છે “ હા હું ખરાબ જ છું, જા થાય એ કરી લે”. તો આજનું ઇસ્લામનું જે વિકરાળ કે અગ્રેસીવ રૂપ છે એ મૂળભૂત રીતે સ્વબચાવમાં કે અન્યાયબોધમાં થી વિકસેલું છે. 

અને સૌથી કમનસીબીની વાત એ છે કે આજે આ જ બાબત ભારતમાં હિંદુઓ મુસ્લિમ પ્રજાને લીધે અનુભવી રહ્યા છે . જે અનુભવોએ ઈસ્લામને અગ્રેસીવ બનાવ્યું એ જ અનુભવમાં થી અત્યારે હિંદુ પ્રજા પસાર થઇ રહી છે. આ પ્રજા સતત સ્વ-બચાવ કરીને થાકી ગઈ છે અને હવે અગ્રેસીવ બની રહી છે. જો હિંદુ બહુમતીને અતાર્કિક અગ્રેસિવ બનવાથી રોકવી હશે તો એના પરના ખોટા આરોપો અટકાવવા પડશે. 

છેલ્લા ઘણા વર્ષોથી ભારતના મુસ્લિમો અસુરક્ષિત હોવાનો, પીડિત હોવાનો એક સુર અવારનવાર ઉઠતો રહે છે. અનેક એનજીઓ દ્વારા , કેટલાક મીડિયા દ્વારા અને ચોક્કસ મુસ્લિમ વર્ગ દ્વારા એક એવું હવામાન ગ્લોબલી ઉભું કરાયું છે કે ભારતની મુસ્લિમ પ્રજા વિકટીમ છે. ભારતમાં હિંદુઓ દ્વારા, સરકાર દ્વારા આ લઘુમતીનું શોષણ થાય છે. આ સુરની તીવ્રતા એ હદ સુધી પણ પહોચે છે કે ભારત એક એન્ટી-મુસ્લિમ દેશ છે જેને સતત સર્વધર્મ સમભાવના ભાષણો આપતા રહેવાની જરૂર છે. 

હવે આગળ કશુપણ લખતા પહેલા હું કેટલાક આંકડા આપવા માગું છું પછી ચર્ચા કરીએ. 

ભારત આખા વિશ્વની સેકન્ડ લાર્જેસ્ટ મુસ્લિમ વસ્તી ધરાવે છે. ઇસ્લામિક દેશ ન હોય અને છતાં આટલી મુસ્લિમ વસ્તી હોય એવો ભારત પ્રથમ ક્રમનો દેશ છે. ( આઝાદી સમયે કૂલ મુસ્લિમ વસ્તી ૩૪ મીલીયન એટલે કે લગભગ ૯% હતી તે આજે ૨૦૦ મીલીયન એટલે કે ૧૪% થી વધુ છે.) That is more than population of many Islamic countries.

  • ભારતમાં મુસ્લીમ્સને માઈનોરીટીનું સ્ટેટ્સ અપાયેલું છે. આના પરિણામે મોમા ( મીનીસ્ટ્રી ઓફ માઈનોરીટી અફ્ફેર્સ ) સ્કોલરશીપ એવા માઈનોરીટી વિદ્યાર્થીઓને અપાય છે જે આર્થિક રીતે સક્ષમ નથી.
  • ભારતમાં મુસ્લીમ્સને પોતાની ધાર્મિક કાયદાવ્યવસ્થા ફોલો કરવાની, ટેક્સ ફ્રી રીલીજીયસ સેન્ટર શરુ કરવાની, પોતાની કેટલીક જાહેર રજાઓ નિશ્ચિત કરવાની અને પોતાનું આગવું શૈક્ષણિક સંસ્થાન ઉભું કરી તેમાં રીઝર્વેશન રાખવાની સ્વતંત્રતા છે ( Right to establish tax free religious institution, Right to follow own law in social and religious issues, Right to have certain restricted holiday, Right to establish minority educational institute with rights of reservation.)
  • જામિયા મીલીયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીની સ્થાપના ધાર્મિક માઈનોરીટીના આધારે થઇ છે. જો ભારતના ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશનના ખાલી નામોનું લિસ્ટ જોઈએ તો ૪૨ પાનાં લાંબુ ડોક્યુમેન્ટ છે. 
  • ભારતમાં ૧૯૫૯માં ‘હજ એક્ટ’ અમલમાં મુકાયો (નવા સ્વરૂપે) જે મુજબ ભારત થી હજ પર જતા મુસ્લિમ યાત્રીઓ માટે સબસીડી આપવામાં આવી. વર્ષ ૨૦૦૯ માં જે રકમ મુસ્લિમ યાત્રીઓ માટે ચૂકવાઈ ફક્ત એનો આંકડો ૮૬૪૭ મિલિયન હતો ( વર્ષ ૨૦૦૦ થી લઈને ૨૦૧૨ સુધીમાં ૧.૫ મીલીયન મુસ્લિમને આ સબસીડીનો લાભ મળ્યો હતો. ) 
  • ભારતમાં લગભગ ત્રણ લાખ થી વધુ મસ્જીદો છે ૨૦૧૭ ના આંક મુજબ દેશમાં પાંચ લાખ જેટલા મદરેસા કાર્યરત હતા. ( મદરેસાનું કાર્ય ધાર્મિક શિક્ષણ આપવાનું પણ છે )
  • ન્યુઝ ૧૮ ના રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮માં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સ્કીમ હેઠળ સ્કોલરશીપ અપાઈ તેમાં ૮૦% મુસ્લિમ વિદ્યાર્થીઓને અપાઈ હતી. ૭.૫ % ખ્રિસ્તી, ૫% સીખ ,અને ૪.૭ % આ દેશના બહુમતી હિંદુ નાગરિકોના બાળકોને મળી હતી. જો આંકડામાં કહું તો મુસ્લિમ લાભાર્થીઓ હતા ૮૮ લાખ અને હિંદુ હતા ફક્ત ૫ લાખ . 
  • ભારતના ત્રણ પ્રેસીડન્ટ મુસ્લિમ હતા, છેલ્લા આંકડા મુજબ ૨૭ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મુસ્લિમ છે અને ક્રીટીકલ જજમેન્ટ આપનાર તમામ બેચમાં ( ટ્રીપલ તલાક, અયોધ્યા ) મુસ્લિમ જજ શામેલ હતા. 
  • આ દેશની ક્રિકેટ ટીમના કપ્તાન, ફિલ્મ સ્ટાર, આઈ.એ.એસ ઓફિસર્સ , ગાયકો, શાયરો, લેખકો, વાઈસ ચાન્સલર, પત્રકાર દરેક જગ્યાએ અને હોદ્દા પર મુસ્લીમ સભ્યો છે.
  • આ દેશમાં મુસ્લિમ એ માત્ર એક પ્રજા નથી પણ સભ્યતા છે. અહીંના કુતુબમિનાર, તાજમહાલ, ફતેહપુર સિક્રી, ચાંદની ચોક , પરાઠાવાલી ગલી ,ઢાલગરવાડ , જામા મસ્જીદ, અજમેર શરીફ …… આખા વિશ્વમાં કોઇપણ લઘુમતીની સભ્યતાના આટલા ઊંડા મૂળ હોય એનો બેજોડ દાખલો છે ભારત.

તો મુસ્લિમો આ દેશમાં ઓપ્રેસ્ડ છે અને હિંદુઓ અસહીષણું છે એ ભયંકર આત્યંતિક અને અન્યાયી વિધાન છે. એમની સમસ્યાઓ દરેક નાગરિકની જેમ હોવાની જ, પણ એને એમના ધર્મ સાથે કાયમ જોડી દેવી એ વધુ પડતું છે. વાસ્તવમાં સ્કુલ, કોલેજમાં કે ઓફિસમાં તમામ લોકોને મુસ્લિમ મિત્રો છે, એકબીજાના ઘેર આવવા જવાના અને તહેવારો વિશ કરવાના સંબંધો છે. in fact એવી સભાનતા જ નથી હોતી કે આનો ધર્મ શું છે. અને મુસ્લિમ જ કેમ પારસી, ખ્રિસ્તી, સીખ આ બધા લોકો માઈનોરીટી છે. પણ પીડિત હોવાની ચીસ ફક્ત એકબાજુ થી જ આવે છે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિખવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ અંગેના મુદ્દા જોઈએ. અને અહીં જે મુદ્દા મુકાઈ રહ્યા છે એ દરેક નાગરિકનાના મનમાં છે. કેટલાક કહે છે કેટલાક નથી કહેતા. કારણકે આ દેશમાં પ્રો-મુસ્લિમ હોવું એ સેક્યુલર છે અને સેક્યુલર હોવું એ એન્ટી-મુસ્લિમ છે.
( મારા કબાટમાં સામે ગાલીબ, મજાઝ, ફૈઝ, અહમદ ફરાઝ, બશીર બદ્ર, વસીમ બરેલવી, ખાલીદ હુસેની, એલીફ શફ્ફાક, તહેમીના દુર્રાની, કુર્તુલ એન હૈદર ના પુસ્તકો છે. દાયકાઓથી મારી સૌથી નજીકની મિત્ર મુસ્લિમ છે અને હું આબિદા પરવીન અને બેગમ અખ્તરની ચાહક છું….so don’t even start that anti-muslim argument with me. ) 

એક નિશ્ચિત વર્ગ સતત બહુ જ પાર્શિઅલ રીતે બહુમતીને કોસતો રહે છે. આના કારણો અનેક હોઈ શકે. કેટલાકને વર્તમાન સરકાર સામે વાંધો છે એટલે, કેટલાકને પોતે કેટલા વિશાળ હ્રદયી છે એવું પબ્લિક પ્લેટફોર્મ પર દર્શાવવું છે એટલે અને કેટલાક પોતે મુસ્લિમ છે પણ બિનસાંપ્રદાયિકતાના ઓઠા હેઠળ રજૂઆત કરે છે માટે …એક યા બીજી રીતે આ દેશની ૮૦% પ્રજા જાણે અસહીશણુ હોય એમ શબ્દો ફેંકાયા કરે છે. મીડિયામાં પણ શોષણની કથાઓ વેચવી સહેલી હોય છે, સદભાવને કોણ ખરીદે છે ? આનું પરિણામ એ આવે છે કે સામાન્ય મુસ્લિમ પ્રજા ભયભીત થાય છે અને સામાન્ય હિંદુનો કુપ્રચાર થાય છે. એટલી સિફત થી આ થતું હોય છે કે જો તમે એ સ્થિતિમાં નથી તો એ સમજવું અઘરું છે. 

  • જેમકે “ મુસ્લિમને હિંદુ સોસાયટીમાં ઘર નથી આપતા “ આ એક વિકૃત રજૂઆત છે. આ જ વાતનું બીજું પાસું એ પણ છે કે હિંદુઓ પણ મુસ્લિમ વિસ્તારમાં ઘર નથી ખરીદતા. એનું કારણ દ્વેષ નથી પણ જુદી સભ્યતા અને ટેવો છે. કેનેડાના ટોરંટોમાં બ્રામ્પટનમાં પંજાબી લોકાલીટી નજીક આવી જાય છે કે મલેશિયામાં લીટલ ઇન્ડિયા ઉભું થાય છે એનું કારણ એ છે કે લોકો સમાન ટેવો વાળા જુથમાં જીવવા ઇચ્છે છે. આને શોષણનું નામ ન આપી શકાય. 
  • આજે એક સાહેબે પોતાનો જુનો આર્ટીકલ શેર કર્યો જે કહે છે “ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ખરાબ છે”. આ લેખમાં મુસ્લિમોમાં શિક્ષણ ઓછું છે અને એમને ઉચ્ચ સરકારી નોકરીઓ નથી મળતી એવું કહેવાયું છે. મેં અગાઉ જણાવ્યું એમ આ બાબતને ભેદભાવ સાથે ન સાંકળી શકાય કેમકે ઉલટા મુસ્લિમ લોકોને સ્કોલરશીપના વધુ લાભ મળે છે. પણ કોલેજમાં અધ્યાપન દરમ્યાન મેં હજારો મુસ્લિમ બાળકોને ભણાવ્યા છે. કોલેજ પૂરી ન કરવા દઈને દીકરીઓના લગ્ન કરી દેતા સમાજની રીત જોઈ છે. શિક્ષણ મુસ્લિમ સમાજમાં પુરતું નથી એનું કારણ એમની પોતાની પ્રાયોરીટી અને સમાજવ્યવસ્થા છે. આ જ રીતે જો  લીટ્રસી ઓછી હોય તો હાયર પોસ્ટ પર પ્રતિનિધિત્વ પણ ઓછું હોય. આને ભારતીય સમાજની ભેદભાવ નીતિમાં ન ખપાવી શકાય. પણ લેખનો સુર એ જ છે.
  • 2002 ના કોમી તોફાનોનો ઉલ્લેખ વારંવાર થતો હોય છે. કોઇપણ હિંસાની ઘટના જઘન્ય જ હોય પણ ખબર નહિ કેમ એ ઘટનાના બે પાસા જુદી-જુદી રીતે ચર્ચાય છે. ગોધરામાં જે ૫૭ લોકો જીવતા સળગાવાયા એ માટે કહેવાય છે “ આવું કામ કરનાર ટોળાને ધર્મ ન હોય” . એની સામે ગુજરાતના તોફાનો માટે કવિતાઓ લખાય છે અને બોલાય છે “ મેં હિંદુ હું ઓર શરમિંદા હું.” તો અહીં ગુનેગારો ને એક ધર્મના પ્રતિનિધિ કેમ માનવાના ? 
  • ટ્રીપલ તલાકનો કાયદો દૂર થયો એ કોઇપણ ભારતીય કે કોઇપણ સ્ત્રીને આનંદ થાય એવી ઘટના હતી. પણ એમાં પણ મુસ્લિમ પુરુષો પ્રત્યે અન્યાય છે એવી દલીલો લઈને કેટલીક મંડળી નીકળી ત્યારે કટ્ટરવાદની ગંધ આવે એ સાહજિક છે. 
  • આ દેશની સો કરોડની જનતા જેને પૂજે છે એ રામના હોવાની સાબિતી એફીડેવીડ કરીને મંગાય તો એ ઈરાદાપૂર્વક દુભ્વવાની ક્રિયા છે. જો મક્કા મદીનામાં અલ્લાના અસ્તિત્વ વિષે આવું પુછાય તો શું બને ? અને આવા સમયે જે લોકો બહુમતીને શિખામણ આપવા નીકળે છે કે “ ઈશ્વર બધા સરખા” એ વાત મુસ્લિમ ને લાગુ ન પડે ? આમાં જે સમતા રાખી રહ્યા છે એમને સતત “તમે સમતા રાખો” કહીને ઉશ્કેરવામાં આવી રહ્યા હોય એવો ઘાટ થાય છે. 
  • CAA અને NRC આ કાયદાઓ મુસ્લિમોને કાઢવા માટે છે એવું ધારી લઈને બેફામ હિંસા થાય ત્યારે જો મુસ્લિમ પ્રજા આવી ઘટનાને વખોડવાને બદલે જસ્ટિફાય કરવા ઉતરે કે મૌન રહે તો એ પણ કટ્ટરવાદ છે. ઓમના ચિન્હ સાથે લખાયેલા “ ફક હિન્દુત્વ” ને જો કોઈ જાહેરમાં ક્રિએટીવ લીબર્ટી કહે તો સામાન્ય લોકો ઉશ્કેરાવાના છે. તસ્લીમા નસરીન અને રશ્દી સાહેબને આ ક્રિએટીવ લીબર્ટી કેમ લાગુ ન પડી એ પ્રશ્ન થવાનો છે. 
  • યાકુબ મેમણ કે અફઝલ ગુરુની ફાંસી રોકવા જ્યારે મુસ્લિમ સેલીબ્રીટીઝ માફીની અરજી કરે ત્યારે તે ક્ષમાનું મહોરું પહેરેલો કટ્ટરવાદ હોય છે.
  • કોઇપણ સમસ્યા આવે “હમારી કોમકે લોગ” માટે “ અબ લડકે મરેંગે” જેવી ગઝલો ગાવા લાગતા શાયરો પોતાને નોન કમ્યુનલ ગણાવે એ અતાર્કિક કટ્ટરવાદ છે. 
  • રાહત ઇન્દોરી સાહેબ “ કિસીકે બાપકા હિન્દોસ્તાન થોડી હે “ શેર વિષે વાત કરતા આજકાલ કહે છે કે “જુના દિવસોમાં યાદ નહિ કયા સંજોગોમાં એ શેર લખાયેલો પણ એ બધા નાગરીકો માટે છે.” ઉર્દુ અદબની ચાહક હોવાને લીધે મેં રાહતસાહેબે જ્યારે હ્યુસ્ટનની એક સભામાં એ શેર વાંચ્યો એનો વિડીઓ જોયો છે અને એની સાથે કહેવાયેલી વાત પણ જોઈ છે.  “ યે શેર મેં દીલ્લીમેં લાલ કિલે સે પઢતા હું ઓર સામને વઝીરેઆઝમ બેઠે હોતે હે. ઇસીલિયે મેં હિન્દુસ્તાન મેં બહુત મશહુર હું યા બહોત બદનામ હું “ એવું મેજોરીટી મુસ્લિમ ઓડીયન્સમાં કહેવું એનો અર્થ કઈ બહુ ન સમજાય એવો નથી. અને જેમણે રાહત ઇન્દોરીને બોલતા સાંભળ્યા છે એમને એમનો ટોન પણ આ વાક્યો સાથે સમઝાશે. 
  • આવા સમયે જે લોકો વાસ્તવને સમજવાને બદલે સતત લઘુમતીને “ તમે શોષિત છો” કહીને ઉશ્કેરે છે એ મોટામાં મોટા ભાગલાવાદી છે. બાજુના ઘરમાં આવેલી નવી વહુને એના આખા ઘર વિરુદ્ધ ચડાવતી પાડોશણ જેવો રોલ હોય છે આ લોકોનો. પોતે સારા દેખાવું…ભલે કોકનું ઘર ભાંગે.
  • આ વિશ્વના બધા દેશોમાં અધિકૃત નાગરીકોનું રજીસ્ટ્રેશન થાય છે. પણ અહીં કોમેડિયન ગીત બનાવે છે “ હમ કાગઝ નહિ દિખાયેંગે”. આ ભાઈના શો માં આઈકાર્ડ વિના એન્ટ્રી નથી મળતી એ જાણ ખાતર. 
  • અરુંધતી રોય બયાનબાજી કરે છે “ જો કોઈ સરકાર તમારું નામ પૂછે તો રંગા-બિલ્લા કહેજો”. આ બહેનને આંતરરાષ્ટ્રીય અવોર્ડ લેવા ગયા ત્યારે એરપોર્ટ પર ડોક્યુમેન્ટ વિના પ્રવેશ આપેલો ? વિશ્વના તમામ પ્રોગ્રેસીવ દેશોમાં સીટીઝન આઇડેન્ટિફીકેશનના નિયમો છે. ભારત તો બહુ મોડું જાગ્યું છે. 
  • અને આ આખુ પ્રોવિઝન મુસ્લિમને આ દેશમાં થી કાઢવા માટે છે એવી ધારણા કરીને તોફાન કરવાના? ઉપરના તમામ આંકડા જોતા લાગે છે કે આ દેશમાં થી ઇસ્લામિક સભ્યતાને કાઢી શકાય ? જે દેશમાં અન્ય દેશના મુસ્લિમને શરણ કેમ નહિ આપો એ મુદ્દે બસો સળગતી હોય ત્યાં નાગરિકોને કાઢવા શક્ય છે? 
  • અને ક્યાંય જોયું છે કે કોઈ દેશની પોલીસ માર ખાય ? એનાથી વધુ સહિષ્ણુતા કયા દેશમાં છે ?
  • એક એવી છાપ ફેલાવાય છે કે ભારતમાં ભય છે, કોઈ કઈ બોલી શકતું નથી. છેલ્લા પંદર વર્ષોમાં જેટલી ગાળો મી.મોદી એ ખાધી છે એટલી હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈએ નહિ ખાધી હોય. વિશ્વના અન્ય દેશોમાં એક આતંકવાદી હુમલો થાય તો આખાને આખા દેશ પર યુદ્ધ ડીકલેર કરી દેવાય છે. પણ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરનાર યાકુબ મેમણ માટે અડધી રાત્રે જાગીને સુપ્રીમ કોર્ટે દયાની અરજી સાંભળવી પડે છે. આવી લોકશાહી ક્યાય જોઈ છે ?

આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે હવે બહુમતીનું અગ્રેશન વધી રહ્યું છે. ક્રિસમસ નો વિરોધ, સ્ત્રીઓના કપડા પર થતી કમેન્ટ, ફિલ્મો અને સાહિત્યનો વિરોધ , રાષ્ટ્રભાવનાનું ખોટું અર્થઘટન…. આ બધું વધી રહ્યું છે. કોઈ નાગરિક આ દેશમાં આ થાય એવું નથી ઇચ્છતો. જે ગુસ્સો, જે આક્રોશ, જે જડતા સપાટી પર દેખાઈ રહી છે એની ભીતર દુખ છે પોતાની સદ્ભાવનાના અપમાનનું.  અને આ જો કોઈ પ્રજા સૌથી વધુ સમજી શકે એમ હોય તો તે મુસ્લિમ પ્રજા છે કેમકે એમનું અનુભવવિશ્વ એ જ છે. 

આ દેશમાં ગંગા-જમની સભ્યતામાં હિંદુ-મુસ્લિમ હજારો વર્ષ સાથે જીવ્યા છે તો હવે જે મહામાનવો સતત પેટ્રનાઈઝીંગ ટોનમાં બહુમતીને સર્વધર્મ સમાનતાના ભાષણ આપી રહ્યા છે કે પારાવાર ટીકાઓ કરી રહ્યા છે એમણે અટકી જવાની જરૂર છે. આ દેશના મુસ્લિમ નાગરીકો ક્યાંય જવાના નથી અને એમને કશું થવાનું નથી.

Leave a Comment